
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયા હતા. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરી હતી.
SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે તેના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ.
નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલાં SIT સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.

જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયા ત્યારની તસવીર.
મને જે સવાલ કરાયા તેના મે જવાબ આપ્યા છે- જયરાજ આહીર બગદાણા હુમલા કેસ મામલે રચાયેલી SITએ સમન્સ પાઠવતા જયરાજ આહીર આજે સાંજે 5 કલાકે SIT સમક્ષ હાજર થયા હતા. SITએ સાડા ત્રણ કલાક લાંબી પૂછપરછ કરી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ કચેરીની બહાર આવેલા જયરાજ આહીરે કહ્યું હતું કે, મને જે સવાલ કરાયા હતા તેના મેં જવાબ આપ્યા છે. મને કાયદા પર પૂરો વિશ્વાસ છે. મને ભવિષ્યમાં આ કેસ સંબંધિત જ્યારે પણ બોલાવાશે ત્યારે હું હાજર રહીશે.
નવનીત બાલધિયાએ બે દિવસ પહેલાં કહ્યું હતું- ‘હુમલામાં જયરાજનો હાથ’ ભાવનગરના બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SITની રચના બાદ એક બાદ એક અપડેટ સામે આવી રહ્યાં છે. શનિવારે બે પોલીસ ઈન્સ્પેક્ટરના નિવેદન લેવાયાં બાદ સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા.
SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું.

નવનીત બાલધિયા હુમલા કેસના આરોપીઓ સાથે જયરાજ આહીરનો ફોટો વીડિયો વાઈરલ થયો હતો,
નવનીત બાલધિયા હુમલા કેસમાં ધરપકડનો આંક 13 થયો બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. એ SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.
હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં ધરપકડનો આંક કુલ 13એ પહોંચ્યો છે.

નવનીત બાલધિયા પર હુમલો થયા બાદ હીરા સોલંકીએ મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.
શું છે સમગ્ર મામલો? બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતાં મેં મારા ચાર-પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું, તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ એની તપાસ કરે.

